ઘણીવાર ટીવી ચેનલો પર, સમાચાર પત્રોમાં આપણે એસિડ એટેક વિશેના સમાચાર જોતા, સાંભળતા, વાંચતા હોઈએ છે, અને દર વખતે આપણા દિલમાંથી દર્દની એક ચિનગારી ઉઠતી હોય છે. પરંતુ ક્યારેય કોઈ એ એસિડ એટેકની પીડિતાના જીવન વિષે જાણવાનો પ્રયત્ન કર્યો છે? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવી જ એક પીડિતા છોકરીની દર્દભરી કહાની.
મોટાભાગે આપણે એસિડ એટેક માટે પ્રેમ પ્રકરણને જ જવાબદાર માનતા હોઈએ છે, પરંતુ દર વખતે એમ નથી હોતું. અમે આજે તમને જે વાત કહેવા જઈ રહયા છીએ એ વાંચીને તમારા પણ રૂવાંડા ઊભા થઇ જશે.

આ કહાની છે મુંબઈની એક છોકરીની, જેનું સાચું નામ પણ કોઈ નથી જાણતું. આજે એને દુનિયા અનમોલ નામ તરીકે જ ઓળખે છે. નામ પ્રમાણે જ આ છોકરી અનમોલ છે. અનમોલ ઉપર એસિડ એટેક તે જયારે માત્ર બે મહિનાની હતી ત્યારે જ થયો હતો. કદાચ આ વાત કોઈના માનવામાં નહિ આવે. પરંતુ આ હકીકત છે.
અનમોલ ઉપર એસિડ ફેંકનાર બીજુ કોઈ નહિ તેના પોતાના પિતા જ હતાં. અનમોલની માતાએ એક દીકરીને જન્મ આપ્યો અને આ જ વાત તેના પિતાને પસંદ આવી નહોતી. જેના કારણે જયારે અનમોલ તેની માતાના ખોળામાં સુઈ રહી હતી ત્યારે જ તેના પિતાએ તેની મા ઉપર એસિડ છાંટ્યું. જેમાં અનમોલનો ચહેરો બળી ગયો. અને તેની માતા આ હુમલામાં એસિડથી બળવાના કારણે મૃત્યુ પામી હતી.
View this post on Instagram
Happy is my super power 👻 make it yours as well with @clovia_fashions 🤗💕
જેના માટે ખુદ અનમોલ કહે છે કે “મારા પિતાને એ નહોતું પસંદ કે મારી માએ એક દીકરીને જન્મ આપ્યો છે, જેના કારણે એક દિવસ બપોરમાં મારા પિતાએ મારી માતા પર એસિડ ફેંક્યું, મારી માતા એ મને ઢાંકીને તો બચાવી લીધી, પરંતુ પોતે ના બચી શકી.”

“આ ઘટના બાદ મારા પિતાને તો જેલ થઈ ગઈ. મારા મોસાળપક્ષે થોડા દિવસ મારી દવા તો કરાવી, પરંતુ, હું એમના ઉપર ભારરૂપ છું એમ માની એમને પણ મને છોડી દીધી.” આમ અનમોલ જણાવી રહી છે. પાંચ વર્ષ સુધી અનમોલ હોસ્પિટલમાં પોતાના જીવન સાથે અને પોતાના શરીર પર પડેલા સળગવાના દાગ માટે લડવું પડયું, હોસ્પિટલમાં અનમોલ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો, ત્યાં તેને એક પરિવાર જેવી અનુભૂતિ થઈ. પરંતુ હોસ્પિટલ કાયમી ઘર ના બની શકે એ માટે એને હોસ્ટિપટલથી અનાથ આશ્રમમાં લઈ જવામાં આવી. જ્યાં તેને પોતાનું શિક્ષણકાર્ય કર્યું.
પરંતુ અનાથ આશ્રમમાં અઢાર વર્ષથી ઉપરના બાળકોને રાખવામાં આવતા નહોતા જેના કારણે અનમોલે એ આશ્રમ પણ છોડવું પડ્યું. અને પોતાની રીતે રહેવા લાગી. કૉલેજ શરૂ કરી પરંતુ ત્યાં પણ તેના કોઈ ખાસ મિત્રો બન્યા નહિ, ના કોઈએ તેને સમજવાનો પ્રયત્ન કર્યો. કારણ કે તેનો ચેહેરો એસિડથી સળગેલો હતો. તે ભણવામાં ખુબ હોશિયાર તો હતી જ. તે કોલેજની રેન્ક હોલ્ડર હતી, પરંતુ તેનો સંઘર્ષ તેની જાત સાથે જ હતો. પોતાની જાતે જ સંઘર્ષ કરતાં, લડતા તે ગ્રેજ્યુએટ બની ગઈ.

નોકરી માટે કેટલાય પ્રયત્નો કરવા છતાં તેને ક્યાંય સફળતા મળતી નહોતી. અંતે એક નોકરી તેને મળી પણ ગઈ. પરંતુ એ બે મહિનાથી વધારે એ નોકરી પર ન રહી શકી. કારણ હતું તેનો બળેલો ચહેરો. લોકોને તેનો બળેલો ચહેરો જોઈને કામ કરવાનું નહોતું પસંદ જેના કારણે તેને નોકરીમાંથી છૂટી કરવામાં આવી.
કર્લી ટેલ્સ સાથે આપેલા ઇન્ટરવ્યૂમાં અનમોલ કહે છે કે: “મને નોકરી છોડવા માટે કહેવામાં આવ્યું કારણ કે મારા કારણે લોકો તેમના કામ ઉપર ધ્યાન નહોતા આપી શકતા.”
આપણા મનમાં પ્રશ્ન થાય કે એસિડ એટેકની પીડિતાઓ માટે તો ઘણા સંગઠનો અને સંસ્થાઓ કાર્યરત છે તો ત્યાંથી શું અનમોલને મદદ ના મળી શકે?

તો તમને જણાવીએ કે આગ્રાની અંદર એક “શિરોજ” કેફે ચાલે છે. જે માત્ર એસિડ એટેકની પીડિતાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે અને અનમોલ ત્યાં પણ કામ કરી ચુકી છે. અને તે કહે છે કે “આ શોશિયલ વસ્તુઓને તરીકો એકદમ અલગ હોય છે. ત્યાં મીડિયા વાળા વધારે આવે છે અને ગ્રાહકો ઓછા. ત્યાં તમને રહેવા માટે આશરો તો મળી શકે છે, પરંતુ જીવન જીવવા માટે આશરો નહિ.”
આ દરમિયાન અનમોલે એક સ્માર્ટ ફોન લીધો. અને સોશિયલ મીડિયા સાથે જોડાઈ. તેને પોતાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરવાના શરૂ કર્યા, ત્યાં તેને ઘણું મોટું સમર્થન મળ્યું. પરંતુ અસલ જીવન અને ઓનલાઇન જીવનમાં ઘણો તફાવત હોય છે.
અનમોલ કહે છે કે “હું કેમેરાની આગળ રહેવા માંગતી હતી, એક્ટ્રેસ કે મોડલ બનવા માંગતી હતી. એવામાં મારી મિત્ર અને મેનેજર મેઘાએ ખુબ મદદ કરી.”

કેટલાક લોકોએ અને મહત્વપૂર્ણ બ્રાન્ડે અનમોલની પ્રોફાઈલ જોવાની શરૂ કરી. અને તેમની સાથે કામ કરવાનો પણ મોકો અનમોલને આપવા લાગ્યા. અનમોલે કવોલીયા બ્રાન્ડ માટે કપડાંની એક નવી લાઈન શરૂ કરી. અનમોલે શબાના આઝમી સાથે એક શોર્ટ ફિલ્મ “ચાચી જી” માં પણ કામ કર્યું છે. અને અનમોલ ટેડ ટોક્સ, રેમ્પ વૉક, અને બીજી કેટલીક વસ્તુઓ પણ કરવાની શરૂઆત કરી દીધી.
આ ઘટના અનમોલ સાથે વર્ષ 1994માં બની હતી. આજે એ ઘટના વીતે 25 વર્ષ થઇ ગયા પરંતુ, એનો દાઝ આજે પણ એટલો જ લાગ્યો છે. આ પચ્ચીસ વર્ષોમાં અનમોલે જે સહન કર્યું છે એની પીડા તો એ પોતે જ જાણતી હશે. એસિડ એટેક સમયે તો તેને ભાન પણ નહોતું કે પીડા શું હોય છે? પણ જયારે એને સમજણ મળી, સમાજમાં ચાલતી થઇ ત્યારે એને સમજાયું કે પોતાની પીડા કેટલી દુઃખ આપે એવી છે. લોકો તેને જોઈને જયારે મોઢું ફેરવી લે ત્યારે એના દિલ ઉપર શું વીતતી હશે એ તો માત્ર એ જ જાણી શકે? કૉલેજ હોય કે નોકરી માટેની જગ્યા, અનમોલને દરેક જગ્યાએ જાકારો જ મળ્યો. છતાં પણ હિંમત હાર્યા વગર તે લડતી રહી અને આજે પોતાના ધારેલા મુકામ ઉપર તે પહોંચવા જઈ રહી છે.

અનમોલની શું ભૂલ હતી? એટલી જ કે તે એક દીકરી હતી? દીકરી હોવાની જો આજ સજા મળતી હોય તો ઈશ્વરે શું કામ સ્ત્રીનું સર્જન કર્યું? અનમોલ જેવી સ્ત્રીઓની હકીકત આંખો સામે જયારે આવે છે ત્યારે આંખમાંથી આંસુ અને ગુસ્સો બંને નીકળી જાય છે. જો આપણને જ આમ થતું હોય તો વિચારો અનમોલ અને અનમોલ જેવી કેટલીય દીકરીઓ જેને આ પ્રકારની યાતનાઓ ભોગવી હશે એમને કેવી તકલીફ થતી હશે?
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.