ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શન કરવા માટે ચાલીને જઈ રહેલા 7 પદયાત્રીઓને ઇનોવાએ કચડી નાખ્યા, ધ્રુજાવી દેતો બનાવ

ભાદરવી પૂર્ણિમાના દિવસે અંબાજીમાં ભવ્ય મેળો ભરાતો હોય છે, ત્યારે આ પૂર્ણિમાનું ખાસ મહત્વ હોવાના કારણે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે પગપાળા જ દૂર દૂરથી અંબાજી આવતા હોય છે. દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થાય છે, આ વર્ષે પણ ઘણા ભાવિક ભક્તિઓ ચાલીને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે હાલ એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી છે, જેમાં પગપાળા ચાલીને જતા ભક્તોને કાર ચાલકે કચડી નાખ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી માતાજીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અરવલ્લીના કૃષ્ણાપૂર પાસે એક કાર ચાલકે કચડી નાખ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જયારે 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતની અંદર પદયાત્રીઓ સહીત એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને માલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ તમામ પદયાત્રીઓ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ગામના વતની હોવાનું સામે આવી રહ્યુ છે.

આ અકસ્માતમાં કાર ચાલક પણ ગંભીર રીતે ઘવાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. તે પણ હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતની જાણ થતા જ માલપુર પોલીસ અને મોડાસા ડીવાયએસપી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કાર ચાલક વિરુદ્ધની તમામ વિગતો એકથી કરીને આ ઘટના કેવી રીતે સર્જાઈ તેની કાર્યવાહી પણ હાથ ધરી છે.

તો આ ઘટનાને લઈને સ્થાનિકો સમેત પરિવરમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કરીને મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પોલીસે આ ઘટના અંગે એફએસએલ અને વાહન વ્યવહાર નિરીક્ષક દ્વારા પણ ઘટના અભિપ્રાય મેળવીને ઘટના અંગે આરોપી કાર ચાલક સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

Niraj Patel