Surat Suicide : ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતના ડુમસમાંથી એક ચોંકાવનારો આપઘાતનો મામલો સામે આવ્યો. વાલીની મંજૂરી વગર પ્રેમ લગ્નના કરૂણ અંજામની ઘટના સામે આવી. પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ગવિયરમાં રહેતી 21 વર્ષીય કરીના પટેલે એક વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કરીના તેના પરિવારની લાડલી હતી, કારણ કે તે એકની એક દીકરી અને કેના ભાઇઓની એકની એક બહેન હતી.
સુરતની પટેલ યુવતિએ કર્યો આપઘાત
કરીનાનો સોશિયલ મીડિયના માધ્યમથી કિશન પટેલ સાથે સંપર્ક થયો હતો અને કિશને તેને એરપોર્ટ પર નોકરી કરે છે એવું ખોટુ બોલી ફસાવી હતી. જો કે, કરીનાના પરિવારજનોને આ પ્રેમ મંજૂર ન હોવાથી તેણે એક વર્ષ પહેલા ભાગીને કિશન સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના ત્રણ મહિના બાદ કરીનાને તેના પરિવારે રાજીખુશીથી બોલાવી લીધી હતી.તે પછી તે પિયરમાં આવવા-જવા લાગી પણ તેનો પતિ કિશન કોઈ કામધંધો કરતો નહોતો અને તે કરીનાને તેના માતા-પિતા પાસેથી રૂપિયા લાવવા દબાણ પણ કરતો.
પતિ કરતો પિયરથી રૂપિયા લાવવા દબાણ
આ ઉપરાંત કરીનાને માનસિક ત્રાસ પણ આપવા લાગ્યો હતો. જો કે, કિશન ઘરમાં રૂપિયા ન લાવતો હોવાથી ઘર ચલાવવામાં પણ ફાંફા પડી ગયા હતા. એટલે માનસિક રીતે ભાંગી પડ્યા બાદ કરીનાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. દીકરીના આપઘાતની જાણ થતા જ માતા-પિતા દોડી ગયા હતા.કરીનાના પરિવાર દ્વારા તેના પતિ કિશન પટેલ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભાઇએ કહ્યુ- આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે
કરીનાના ભાઈ નિરવ પટેલે જણાવ્યુ કે, તેની બહેનને સાસરિયાં દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો અને મારી પોલીસ અને સરકાર પાસે એક જ માગ છે કે આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે. આ ઉપરાંત તેણે એવી પણ અપીલ કરી કે આવું કોઈ અન્ય છોકરી સાથે ન બને તે માટે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવો.