ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શનિવારે એક હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જયાં પ્રાઇવેટ હોસ્પિટલની અમાનવતા દેખવા મળી છે. અહીં સારવાર માટે પૂરી રકમ લાવવામાં પરિવાર અસમર્થ થતા 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી ચીરેલા પેટે બહાર કરવામાં આવી હતી. પૈસાના અભાવે બાળકીની સારવાર ન થઇ શકી અને તેનું મોત થઇ ગયું.
પ્રયાગરાજના કરેલી વિસ્તારના રહેવાસી બ્રહ્મદીન મિક્ષાની 3 વર્ષીય દીકરીના પેટમાં બિમારી હતી. મા-બાપે સારવાર માટે પ્રયાગરાજના ઘૂમનગંજના રાવતપુર એક મોટા ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. થોડાક દિવસો બાદ બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું અને ફરી પેટનું ઓપરેશન કરવામાં આવ્યું.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, બાળકીના પિતાના જણાવ્યા નુસાર આ ઓપરેશન માટે દોઢ લાખ લીધા બાદ હોસ્પિટલે 5 લાખની ડિમાન્ડ કરી. જ્યારે રૂપિયા ન આપી શક્યા તો બાળક સહિત હોસ્પિટલ પ્રશાસને પરિવારને બહાર મોકલી દીધો અને કહ્યું કે હવે આની સારવાર અહીં નહીં થાય.
તે બાદ પિતા તેેમની બાળકીને લઇને ઘણા હોસ્પિટલમાં ગયા પરંતુ બધી હોસ્પિટલોએ બાળકીને લેવાનો ઇનકાર કરી દીધો. એવું કહ્યુ કે, બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે. તે બચી નહિ શકે. બાળકી જીવનની જંગ હારી ગઇ અને તેણે સારવારના અભાવને કારણે જ દમ તોડી દીધો.
મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે, ઓપરેશન બાદ ટાંકા લેવામાં આવ્યા ન હતા અને પરિવારને આમ જ બાળકી સોંપી દેવામાં આવી હતી. આ કારણે બીજી હોસ્પિટલોએ તેને લેવાથી મનાઇ ફરમાવી હતી. ઘટનાની ગંભીરતા જોઇ પ્રયાગરાજના જિલ્લા અધિકારીએ આ સમગ્ર ઘટનાને લઇને એક ટીમ બનાવી છે. એડીએમ સીટી અને પ્રયાગરાજ સીએમઓની સંયુક્ત ટીમ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. તપાસ બાદ જે પણ દોષી હશે તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.