દેશનું પહેલું હેરિટેજ સીટી એટલે અમદાવાદ, પણ અમદાવાદીઓ માટે અમદાવાની ઓળખ માત્ર હેરિટેજ સીટી સુધી જ સીમિત નથી, પણ બીજી પણ ઘણી વસ્તુઓ છે અમદાવાદમાં કે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવી જ એક વસ્તુ એટલે અમદાવાદનું ફૂડ બજાર ગણાતું માણેક ચોક.

આખા અમદાવાદમાં કોઈ એવી વ્યક્તિ તમને નહિ મળે કે જે માણેકચોકની ખાણી પીણીનાં શોખીન ન હોય. અહીં અડધી રાતે ખાવા માટે લોકોના ટોળે ટોળાં ઉમટી પડે છે. માણેકચોક ઐતહાસિક ઇમારતોથી ઘેરાયેલો છે. જેવા તમે માણેકચોકમાં પ્રવેશો એટલે સામે જ તમને રાણીનો હજીરો, બાદશાહનો હજીરો જોવા મળશે અને સાથે સાથે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફૂડની સોડમ તો ખરી જ. અમદાવાદમાં ખાણી-પીણી માટેનું કોઈ સ્વર્ગ હોય તો તે માણેકચોક છે.

દિવસ દરમ્યાન અહીં ત્રણ અલગ-અલગ પાળીમાં બજાર ભરાય છે. સવારમાં માણેકચોક શાકભાજી બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે. માણેકચોક સવારના સમયે શાકભાજી બજાર તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બપોરના સમયે ઘરેણાં બજાર હોય છે, જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે. અહીં દિવસ દરમિયાન 30 લાખ રૂપિયાનો ધંધો થાય છે.

આ જ જગ્યા રાત્રિના સમયે ખાણી-પીણી માટેનું સ્વર્ગ બની જાય છે. અહીં રાતે 9.30 વાગ્યા પછી ખાણીપીણી બજાર ભરાય છે, જે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ બજાર અડધી રાત સુધી ખુલ્લું રહે છે. આ જગ્યા પર તમને સ્વાદિષ્ટ પાઉંભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવિચ, દાબેલી અને ભેળ જેવી એક નહી અનેક વેરાયટી ખાવા મળશે.

માણેક ચોકનું નામ સંત માણેકનાથના નામ પરથી પરથી પડ્યું છે જેમણે અહમદશાહને 1411માં ભદ્રનો કિલ્લો બાંધતા અટકાવેલો અને પછીથી મદદ પણ કરી હતી. આ જગ્યા શહેરની હેરિટેજ પ્લેસીસમાંથી એક છે, પણ રાતના સમયે તો અહીંની ખાસિયત અહીંનું ફૂડ જ છે.

માણેકચોકની પ્રસિદ્ધ વાનગીઓ –
પાઉંભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ માણેકચોકની ખાસિયતો છે. આ જ કારણે માણેકચોકને અમદાવાદનું જીવતું જાગતું સ્વર્ગ તરીકે ઓળખાય છે. શું તમે ક્યારેય માણેક ચોકમાં પાણીપુરી કે લસ્સીનો સ્વાદ માણ્યો છે? એ પણ એકવાર તો માણવા જેવો જ છે.

આ ઢોસા ખાશો તો કેરળ યાદ આવી જશે –
માણેકચોકમાં સેન્ડવિચ, પાવભાજી ઉપરાંત ઢોસા પણ ફેમસ છે. એમાંય ગ્વાલિયરના ઢોસાનો ટેસ્ટ સૌથી બેસ્ટ છે. આ ઢોસા ખાઈને તમને કેરળની યાદ આવશે. આજકાલ આ બટરવાળા ઢોસાની માંગ ખૂબ વધતી જાય છે.

અહીની સૌથી ફેમસ ચોકલેટ સેન્ડવિચ –
બાબા માણેકની સમાધિની બાજુમાં જ આવેલી લારી માણેક સેન્ડવિચ તેની ચોકલૅટ સેન્ડવિચ માટે આખા શહેરમાં પ્રખ્યાત છે. આ ચોકલેટ સેન્ડવિચ સિવાયની પણ બીજા એક બે નહી પણ પૂરા પચાસ પ્રકારની સેન્ડવિચ આ નાની એવી લારી પર તમને ખાવા મળશે.

આ લારીના માલિક જણાવે છે કે, એવું નથી કે આ જગ્યા પર લોકો ખાલી ફૂડ જ ખાવા આવે છે. આ જગ્યા પર રાત્રે અહીની રોશની અને લોકોના ટોળે ટોળાં ઉમટી પડે છે એટલે મેળા જેવો માહોલ પણ સર્જાય છે. અહીં કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી. અહીં લોકો સંપીને આ માહોલની મજા લે છે. આ જગ્યા માત્ર ફૂડનું પ્રતીક નથી પણ તે અમદાવાદના વિવિધ લોકો વચ્ચે એકતા અને સમાનતાનું પણ પ્રતીક છે.

અશર્ફીની કુલ્ફી –
હવે જ્યારે પણ તમે માણેકચોક જાવ ત્યારે અશર્ફીની કુલ્ફી ખાવાનું ન ભૂલતા. અહીં એક કે બે નહી પણ પૂરી 60 પ્રકારની કુલ્ફી તમને જોવા મળશે. એવું નથી કે અમદાવાદનાં માણેકચોકમાં જ આ કુલ્ફી મળે છે. આખા અમદાવાદમા આ કુલ્ફીની 15થી વધુ બ્રાન્ચ અલગ અલગ વિસ્તારમાં તમને જોવા મળશે. તેમાં બ્રાઉની, ઓરિયો, ચોકલેટ, મલાઈ કુલ્ફી, રબડી કુલ્ફી જેવી ઘણી ફ્લેવર્સમાં તમને મળશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.