જયપુરમાં અજમેર-હાઇવે પર 20 ડિસેમ્બરે સવારે ખૌફનાક અકસ્માત થયો હતો અને આ અકસ્માત દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા વિસ્ફોટ થયો હતો અને આ અકસ્માતમાં 11 લોકો જીવતા ભૂંજાયા જ્યારે 33 લોકો દાઝી ગયા હતા.
ત્યારે હાલમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ ખૌફનાક અકસ્માત થયો. બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટવાને કારણે બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ અને આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાયા જેને કારણે મોટો અકસ્માત થયો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી અને 2 લોકોના મોત નિપજ્યા જ્યારે બે લોકોને ઈજા પહોંચી. પોલિસ અનુસાર, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 47 પર બાવળા નજીક ભમાસર ગામની સીમ પાસે અક્સ્માત થયો હતો, જેમાં કોઇ ડીઝલ ટેન્કર હતું નહિ.
બગોદરા તરફથી એક કાપડના રોલ ભરેલ આઇસર ગાડીના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડિવાઇડર કુદાવી સામેની સાઇડે જઇ સામે બાવળા તરફથી આવતી આઇસરને ટક્કર મારી અને જેની પાછળ આવતી બીજી આઇસર તેમજ તેની પાછળ સિમેન્ટનું બલ્કર સાથે અથડાઇ પલટી ખાઇ જતા અકસ્માત કરનાર આઇસર તથા બાવળા તરફથી આવતી બે આઇસર તથા એક બલ્કરમાં આગ લાગી હતી.
આ મામલે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ થતા તેઓ તાત્કાલિક બાવળા અને ધોળકા નગરપાલિકાથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. આ અકસ્માતમાં આઇસર ચાલક અને કેબીનમા બેઠેલા બીજા એક માણસ સહિત 2 લોકોના મૃત્યુ થયા છે.