અમદાવાદમાં વસ્ત્રાપુરમાં ધો.12ના ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 9ના વિદ્યાર્થી સાથે કર્યું ગંદુ કામ, માં-બાપ સામે આંખ ઉઘાડનાર કિસ્સો આવ્યો સામે

કોલેજમાં રેગિંગની ઘટનાઓ વિશે તો તમે કદાચ સાંભળ્યુ હશે અને કદાચ તમે કોઇ ફિલ્મમાં તે જોયુ પણ હશે. ત્યારે અમદાવાદની એક સ્કૂલમાંથી રેગિંગની એવી ઘટના સામે આવી છે, જે સાંભળી તમે પણ આશ્ચર્યચકિત રહી જશો. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા ધોરણ 9ના વિદ્યાર્થીને તેના સિનિયર વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મામલો સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી. આ મામલે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતાં વાલીએ પોલીસને જાણ કરી છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર 20 એપ્રિલના રોજ જયારે શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં હત્યા ત્યારે ઘોરણ 12ના વિદ્યાર્થીઓ અન્ય જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરતા હતા અને આવતા જતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યા હતા. ત્યારે ધોરણ 9માં ભણતા એક વિદ્યાર્થીને ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ જબરદસ્તી  ખેંચીને બાથરૂમમાં લઈ ગયા અને ત્યાં પહેલાથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું તે ધોરણ 9ના વિદ્યાર્થીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ડરને કારણે આ બાળકે ઘરે જાણ ન કરી અને માત્ર સ્કૂલમાં જ જાણ કરી. આ અંગે વિદ્યાર્થીના પરિવારને બહારથી જાણવા મળ્યુ હતુ અને તેમણે વિદ્યાર્થીને આ ઘટના અંગે પૂછ્યુ ત્યારે તેણે પરિવાર સામે પોતાની આપવીતી જણાવી. વિદ્યાર્થીએ આ બાબતે સ્કૂલમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા ન હતા, જેથી વાલીએ આ બાબતે 23 એપ્રિલના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

જે બાદ પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી. લેખિતમાં માફી આપવા સ્કૂલ તરફથી વાલીને જણાવવામાં આવ્યુ પરંતુ જયારે તેઓ સ્કૂલ ગયા ત્યારે વિદ્યાર્થીઓએ વાલી સાથે પણ અયોગ્ય વર્તન કર્યું. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે જે જગ્યાએ બનાવ બન્યો તે બાથરૂમ બહાર સીસીટીવી કેમેરા છે અને આ જોઇ આ આખી ઘટના સ્પષ્ટ થશે પરંતુ સ્કૂલ દ્વારા CCTV ફૂટેજ બતાવવામાં આવ્યા નથી અને આપવામાં પણ આવ્યા નથી.

આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં અરજી કરી છે અને ઘટના એ ફોજદારી ગુનો છે જેથી ફરિયાદ નોંધાવી છે. આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલે મામલો દબાવતા જણાવ્યુ કે, આ પ્રકારની કોઇ ઘટના ઘટી જ નથી અને અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી જ નથી. કોઈ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

Shah Jina