KGF-2ની રિલિઝના દિવસે થશે મોટો ધમાકો, જાણો કેમ આમિર ખાને માંગી રોકી ભાઇની માફી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવાતા સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુએ છે. હાલમાં જ આમિર ખાને તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આમિર અભિનેત્રી કરીના કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ આમિર ખાનની આ ફિલ્મ સાથે સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF 2’ પણ રિલીઝ થવા જઈ રહી છે. યશની ફિલ્મના નિર્માતાઓએ ‘KGF 2’ની રિલીઝ ડેટ પહેલેથી જ ફાઇનલ કરી દીધી હતી. હવે આમિર ખાને પણ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ એ જ દિવસે રાખવાનો નિર્ણય કર્યો છે.

આવતા વર્ષે 14 એપ્રિલે બોક્સ ઓફિસ પર KGF-2 અને લાલ સિંહ ચઢ્ઢાની જબરદસ્ત ટક્કર જોવા મળશે. જો કે આ ટક્કરને કારણે હવે આમિર ખાને ‘KGF 2’ના મેકર્સ અને અભિનેતા યશની માફી માંગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર ખાને તેના ઈન્ટરવ્યુમાં KGFના મેકર્સ અને અભિનેતા યશની 14 એપ્રિલે તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ કરવા બદલ માફી માંગી છે.

આમિર ખાને કહ્યું કે અમારી ફિલ્મ વિઝ્યુઅલ ઈફેક્ટના કારણે વિલંબમાં પડી રહી છે. અમારી પાસે બે વિકલ્પ છે કાં તો ફિલ્મ ઉતાવળમાં રિલીઝ કરીએ અથવા સારા કામ સાથે ફિલ્મ રિલીઝ કરીએ અને મને ઉતાવળ બિલકુલ પસંદ નથી. તેથી જ અમે બીજા વિકલ્પ સાથે આગળ આવ્યા છીએ. તેથી જ અમે યશની ‘KGF 2’ જે દિવસે રિલીઝ થઈ રહી છે તે જ દિવસે ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ કરવાની ફરજ પડી છે.

આમિર ખાને એ પણ ખુલાસો કર્યો કે તેને KGF 2 સાથે તેની ફિલ્મ રિલીઝ કરવાનો પસ્તાવો છે. આવી સ્થિતિમાં તેણે ‘KGF 2’ની ટીમ સાથે ડીલ કરી છે કે તે યશની ફિલ્મનું પ્રમોશન કરશે. અભિનેતાએ કહ્યું કે હું મારી ફિલ્મ ક્યારેય અન્યની ફિલ્મો સાથે રિલીઝ કરતો નથી. મને બીજાનું સ્થાન લેવું ગમતું નથી. પરંતુ એ પણ સાચું છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા હું પહેલીવાર સ્ક્રીન પર શીખનું પાત્ર ભજવી રહ્યો છું અને તેથી જ મને બૈસાખી કરતાં વધુ સારી રિલીઝ ડેટ મળી શકે તેમ નથી.

આટલું જ નહીં, આમિર ખાન પહેલા દિવસે થિયેટરમાં યશની ફિલ્મ ‘KGF 2’ જોવા પણ જશે અને તેણે પોતે જ પોતાના ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી છે. આમિર ખાને કહ્યું કે તેણે ‘KGF 2’ના કલાકારો અને નિર્માતાઓ સાથે વાત કરી હતી અને તેણે પોતાના નિર્ણય માટે ઘણી વખત તેમની માફી માંગી છે. આ સાથે તેણે યશને વચન આપ્યું હતું કે તે 14 એપ્રિલે તેની ફિલ્મ જોવા માટે થિયેટરમાં જશે.

જો કે, આમિર ખાન માને છે કે તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘KGF 2’ સંપૂર્ણપણે અલગ ફિલ્મો છે. બંને ફિલ્મોમાં કોઈ સમાનતા નથી. તેમની ફિલ્મ લવ સ્ટોરી છે અને KGF એક્શન પેક્ટ ફિલ્મ છે અને સૌથી મોટી વાત એ છે કે યશની ફિલ્મ એક સ્થિર બ્રાન્ડ બની ગઈ છે. આવી સ્થિતિમાં, તેને આશા છે કે બંનેની ફિલ્મો પર કોઈ અસર નહીં થાય.

Shah Jina