પત્નીએ તેના દીકરા સાથે મળી અને બેંક મેનેજર પતિની કરી નાખી હત્યા, પછી આત્મહત્યામાં ખપાવવા માટે બનાવ્યો એવો પ્લાન કે….

દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, કોઈ લૂંટફાટ કરતા કોઈની હત્યા કરી દેતું હોય છે તો કોઈ વળી પ્રેમ પ્રસંગોના કારણે કોઈની હત્યા કરી દેતું હોય છે. તો ઘણા પરિવારોમાં આંટીક ઝઘડા પણ ક્યારેક હત્યાનું કારણ બનતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈથી આ  ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ તેના દીકરા સાથે મળીને બેંક મેનેજર પતિને સાતમા માળેથી નીચે ફેંકી દીધો હતો. બંનેએ મામલાને આત્મહત્યાનો રંગ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. શુક્રવારે સાંજે પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

આ ઘટના મુંબઈના વીરા દેસાઈ રોડ (વેસ્ટ) પરના SIDBI ક્વાર્ટરમાં શુક્રવારે સવારે 4 થી 4:54 વાગ્યાની વચ્ચે બની હતી. મૃતકની ઓળખ 54 વર્ષીય સંતન કુમાર શેષાદ્રી તરીકે થઈ છે. તેઓ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI)માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. તેની લાશ જોઈને મોર્નિંગ વોક પર ગયેલા પાડોશીઓએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી.

આ કેસની તપાસ કરી રહેલા અંબોલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અબ્દુલ રઉફે જણાવ્યું હતું કે ઘરમાં પતિની હત્યા કર્યા બાદ મહિલા અને તેના પુત્રએ આત્મહત્યા જેવું લાગે તે માટે પતિને ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધો હતો. રઉફે કહ્યું કે અમે સંતન કુમાર શેષાદ્રીની હત્યા માટે તેની 52 વર્ષીય પત્ની જયશીલા શેષાદ્રી અને 26 વર્ષીય પુત્ર અરવિંદની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ મૃતકથી કંટાળી ગયા હતા, કારણ કે તે પરિવાર તરફ ધ્યાન આપતો ન હતો, તેમને ઘરનો ખર્ચો આપતો ન હતો અને ઘણી વાર નાની નાની બાબતો પર ઝઘડો થતો હતો. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે અરવિંદે બે વર્ષ પહેલા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને તે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા માંગતો હતો, પરંતુ સંથન કુમાર તેને પૈસા આપતો ન હતો. આ કારણોસર ગુરુવારે સાંજે ત્રણેય વચ્ચે મારામારી થઈ હતી. આ પછી મા-દીકરાએ મળીને સંતન કુમારની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

Niraj Patel