કોરોનાના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. દિવાળી બાદ અમદાવાદમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં દરરોજના 1500 જેટલા કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદમાં કોરોના બેકાબુ થયો છે તો બીજી તરફ કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોની નવી યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. હિમાલયા મોલ નજીકના ઇન્દ્રપ્રસ્થ ટાવરના 220 ઘરના 800 લોકો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. આ બાદ ઇન્દ્રપ્રસ્થ ફ્લેટના રહેવાસીઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ લોકોએ કહ્યું હતું કે, સરકાર સાચી હકીકત બહાર લાવે. તો નવરંગપુરા આનલ ટાવરના 190 ઘરના 793 લોકો અને બોડકદેવ સુરેલ એપાર્ટમેન્ટના 160 ઘરના 650 લોકો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાયા છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો 224 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જના માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં તાવ આવતો ના હોય અને ઓક્સિજન પર ના હોય અને છેલ્લા 24 કલાકમાં બ્લડપ્રેશર, પલ્સ સામાન્ય રહેતા હોય તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખથી વધી ગઈ છે. તો બીજી તરફ કોરોનાને 183756 લોકોએ મ્હાત આપી છે.