ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો! PMJAY હેઠળ 3 વર્ષમાં 8 હજારથી વધુ ઓપરેશન અને 112નાં થયા મોત

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ કરવામાં આવી હતી. ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સંજય પટોળિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડમાં પ્રાથમિક પુછપરછમાં ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીઓની સારવારમાં 112 દર્દીઓના મોત સહિત અનેક ખુલાસા થયા છે.

નાણાકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઈ

ક્રાઇમ બ્રાંચમા ACPએ જણાવ્યું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીઓ સારવાર લીધી હતી, જેમાં 3842 દર્દીની સરકારી યોજના હેઠળ સારવાર કરવામાં આવી હતી. કુલ લીધેલી સારવાર પૈકી અત્યાર સુધીમાં 112 દર્દીઓના મોત થયાં છે. એટલું નહીં, પરંતુ સંજય પટોળિયાની ધરપકડ કર્યા બાદ હોસ્પિટલ નાણાકીય ખોટમાં હોવાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં નાણાંકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઇ હતી.

PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હતી

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર્થિક નાણાંની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી હતી. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો રેલ વિભાગ અને ONGC સહિત સરકારી અને અર્ધસરકારી સંસ્થાના કર્મચારીઓના પણ સારવાર માટે MOU થયા હતા.

PMJAY યોજનાની ટીમ પણ શંકાના દાયરામાં

ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી PMJAYની તપાસ કરતાં સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે. ત્યારે, કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું હતું એ તપાસ ચાલી રહી છે.

Twinkle